અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. આજે ભાજપના એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે. નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો.


થાવાણીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેશે. આ પહેલા કૉંગ્રેસનાં જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ કોરોનાં સંક્રમિત થઈ ચુક્યા છે. આ સિવાય ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 689 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 16794 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1038 થયો છે.

નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 299, સુરત- 55, વડોદરા- 34, ગાંધીનગર- 13, સુરેન્દ્રનગર-5, બનાસકાંઠા-4, રાજકોટ-4, વલસાડ-4, પંચમહાલ-3, ખેડા-3, મહેસાણા-2, ભરૂચ-2, સાબરકાંઠા-2, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ અન્ય રાજ્યના -2 કેસ નોંધાયા છે.