બોટાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે કોરોનાથી મોતને ભેટેલા બોટાદના 80 વર્ષીય વૃદ્ધના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોના થયો છે. આમ, બોટાદમાં કોરોનાના ચાર કેસો થયા છે. જેમાંથી પહેલા દર્દીનું મોત થયું છે. આ પોઝિટિવ કેસોની માહિતી બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ તમામ લોકોને સાળગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુ ત્રણ કેસો પોઝિટિવ આવતાં તંત્ર વધુ એલર્ટ થયું છે.


કલેક્ટર વિશાલ ગુપ્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વૃદ્ધના પરિવારના 6 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, એ લોકોને સાળંગપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. જેમાં એકની ઉંમર 17 વર્ષીય, બીજા વ્યક્તિની 55 વર્ષ અને ત્રીજી વ્યક્તિની ઉંમર 67 વર્ષ છે. પહેલા દર્દીનું મોત થયું છે, તેમના પરિવારના નજીકના સભ્યને સાથે રાખી આરોગ્યની ટીમ દ્વારા તેમની અંતિમવિધિ કરવામાં આવી છે.



ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 36 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 17 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સુરતમાં 5, વડોદરામાં 5, કચ્છ 1 અને બોટાદમાં 1નું મોત થયું છે.