ગુજરાતમાં આજથી ટ્રાફિકનો નવો નિયમ લાગુ, કેવો છે પ્રતિસાદ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2019 09:19 AM (IST)
અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટમાં નવા ટ્રાફિક નિયમને મિશ્ર પ્રતિસાદ. સુરતમાં પીયુસી કઢાવવા માટે લાગી લાંબી લાઇનો.
અમદાવાદઃ સરકાર દ્વારા આજથી ગુજરાતમાં નવો ટ્રાફિક નિયમનો આજથી લાગુ કરી દીધો છે. જેથી હવે તેની કડક અમલવારી શરૂ થશે. જોકે, આજે પણ સવારથી પીયુસી સેન્ટર લાંબી લાઇનો જોવા મળી રહી છે. અમદાવાદ અને સુરતમાં પોલીસ મેમોથી બચવા માટે PUC કઢાવવા લોકો ઉમટ્યા છે. PUC સેન્ટર ઓછા અને વાહનો વધુ હોવાની વાત લોકો કરી રહ્યા છે. એટલું જ નહીં, હજુ એક મહિનાની મહેતલ સરકારે વધારવી જોઈએ તેવી લોકોની માંગ છે. વડોદરાની વાત કરીએ તો મોટર વહીકલ એક્ટના નવા નિયમોનું 80 ટકા લોકો પાલન કરતા નજરે પડ્યા હતા. હજુ પણ અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે. હેલ્મેટ ન પહેરનાર બહાનાબાજી કરી રહ્યા છે કે, હજુ સુધી ટ્રાફિક પોલીસ દેખાઈ નથી. નોંધનીય છે કે, હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી માટે 31 ઓક્ટોબર સુધી રાહત આપવામા આવી હતી, જે સમય મર્યાદા આજે પુર્ણ થઈ રહી છે. અમદાવાદમાં રિયાલિટી ચેક કરતા 70 થી 75 ટકા લોકો ટ્રાફિકનાં નિયમો પાળી રહ્યાં છે. જ્યારે હજુ પણ 25 થી 30 ટકા લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.