કોરોના વાયરસને લઈ અમદાવાદમાં માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં 285 દિવસ પછી કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જાય છે. રવિવારે પણ 100થી નીચે એટલે કે માત્ર 89 કેસ નોંધાયા હતા. જેની સામે 155 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


સતત કેસની સંખ્યા અને મૃત્યુ ઘટતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડ પણ ખાલી થયા છે. 90થી વધુ ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 95 ટકા બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વગરના આઈસીયુના પણ 94 અને વેન્ટિલેટર સાથેના આઈસીયુ પણ 91 ટકા જેટલા ખાલી થયા છે. આટલી મોટી સંખ્યામાં પહેલી વખત બેડ ખાલી થાય છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી અત્યાર સુધી કુલ 56 હજાર 403 દર્દી સાજા થયા છે. આ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 57 હજાર 290 અને મૃત્યુઆંક 2 હજાર 267 પર થયો છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં 410 કેસ નોંધાયા હતા અને માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 704 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,056 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4665 એક્ટિવ કેસ છે, જેમાંથી 48 લોકો વેન્ટિલેટર પર અને 4617 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4376 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.51 ટકા છે.  દાહોદ, પોરબંદર, ગાંધીનગર કોર્પોરેશન, આણંદ, મહીસાગર, છોટા ઉદેપુરમાંથી એક પણ વ્યક્તિને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નહોતા.

બનાસકાંઠા, પાટણ, તાપીમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર અને અરવલ્લીમાં એક-એક કેસ નોંધાયો હતો.