અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ એક જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. ડાંગ જિલ્લામાં હાલ, માત્ર 9 એક્ટિવ કેસો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની સંભાવના વધી જાય છે.


ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલી માહિતી પ્રમાણે હાલ, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાને કોરોનામુક્ત બતાવવામાં આવી રહ્યો છે. ડેશબોર્ડ પર આપેલા ડેટા પ્રમાણે બનસકાંઠા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે ડાંગ જિલ્લામાં 9 એક્ટિવ કેસો છે. ડાંગ જિલ્લા માટે મોટા રાહતના સમાચાર એ પણ છે કે, આ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી.

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે નવ એક્ટિવ કેસો છે. આમ, અત્યાર સુધીમાં આ જિલ્લામાં માત્ર 40 કેસ નોંધાયા છે. આ કુલ કેસો પણ ગુજરાતમાં સૌથી ઓછા છે. ગુજરાતમાં હાલ, ડાંગને બાદ કરતા અન્ય એક પણ જિલ્લામાં કુલ કેસો 100થી ઓછા નથી.