અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું હતું. તેમજ એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા હતા. જોકે, અનલોકમાં છૂટછાટ મળતા ફરીથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 180 કેસ નોંધાયા છે.


અમદાવાદમાં કોરોના કંટ્રોલમાં આવતાં સુરતમાં સંક્રમણ વધ્યું હતું. જોકે, અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસો 3500ને પાર થઈ ગયા છે. એટલું જ નહીં કોરોનાનું સંક્રમણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ છે.

અમદાવાદ કોર્પોરેશને તેની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે 27મી સપ્ટેમ્બરે શહેરમાં 3810 એક્ટિવ કેસો છે. તેમજ કુલ કેસો 33,691 છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 28,124 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 1757 લોકોના કોરોનાથી મોત થયા છે.
એક્ટિવ કેસોની સંખ્યાની રીતે જોઇએ તો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 672, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 670 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 608, દક્ષિણ ઝોનમાં 568, પૂર્વ ઝોનમાં 545, ઉત્તર ઝોનમાં 376 અને મધ્ય ઝોનમાં 371 એક્ટિવ કેસો છે.