અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા હોસ્પિટલોમાં લોકોને બેડ નથી મળી રહ્યા. ત્યારે ગુજરાતમાં અમદાવાદના લોકો માટે વધારે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં ખાની હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે.


મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની 64 ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ સહિત જનરલ વોર્ડ ફુલ થયાં છે. એટલું જ નહીં માત્ર 304 બેડ ખાલી છે જ્યારે 16 વેન્ટિલેટર જ ખાલી છે.

એક બાજુ ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવા છતાં શહેરના લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેમ લોકો રસ્તા પર માસ્ક વિના કોઈપણ ડર વગર ફરી રહ્યા છે. જોકે કેટલાક લોકોના આ જ બેદરકારી અમદાવાદીઓ માટે ભારે પડી શકે છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1402 કોરોના નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે.