અમદાવાદ: વિશ્વભરમાં પ્રચલિત પશ્ચિમી સાઈકોથેરાપી સામે પ્રથમ વખત પૂર્વના યોગના મનોવિજ્ઞાન-ધ્યાનને સાંકળતી યોગ સાઈકોથેરાપીની અમદાવાદમાં રજૂઆત  કરવામાં આવી હતી. ગુજરાતનાં કચ્છ જિલ્લાના મનોચિકિત્સિક ડો. પંડિત દેવજ્યોતિ શર્માએ ભારતની 5000 વર્ષ જૂની યોગ પદ્ધતિ અને પશ્ચિમની પ્રચલિત મનોવિજ્ઞાન પદ્ધતિનો સમન્વય કરતી ‘યોગ સાઈકોથેરાપી’ પદ્ધતિ વિકસાવી છે. અમદાવાદમાં વિશ્વ યોગ દિવસે માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે રાજ્યના માનસિક આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ડૉ. અજય ચૌહાણના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં ડો. શર્માએ મનોચિકિત્સકોને યોગ સાઈકોથેરાપીની તાલીમ આપી હતી. આ ઉપરાંત ડિપ્રેશનને દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે લાઈફસ્કીલ્સ ડાઈનેમિક મેડિટેશન ગેટકીપર તાલીમ પણ ડો. શર્માએ આપી હતી.


ડો. પંડિત દેવજ્યોતિ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના અનેક દેશો કરતા ભારતમાં ઘણી વધારે છે. છતાં ભારત કરતા વિદેશોમાં સાઈકોથેરાપી વધુ પ્રચલિત છે. હાલમાં દુનિયાનાં ભારત સહિત દરેક દેશમાં પશ્ચિમી પદ્ધતિથી મનોચિકિત્સા થાય છે. પશ્ચિમની પદ્ધતિની સારવારને સિગ્મન્ડ ફ્રોઈડે વિકસાવી હોવાનું માનવામાં આવે છે. ફ્રોઈડની એ પદ્ધતિમાં મહદઅંશે ભારતીય યોગ-ધ્યાનનો ઉપયોગ જ થાય છે. અત્યારના દર્શન શાસ્ત્ર (ફિલોસોફી)થી પહેલા ઈસવીસન 1900ની આસપાસ મનોવિજ્ઞાન શોધાયું. જ્યારે યોગ તો ઈસવીસન પૂર્વે 2700થી ભારતમાં ચલણમાં છે. પરંતુ કમનસીબે ભારતની જ ધ્યાન સહિતની બીજી કેટલીક પદ્ધતિને યશ પશ્ચિમે લઈ લીધો છે.’

ડો. શર્માએ જણાવ્યું કે, ‘ફ્રોઈડનો મતે ઈગો-આઈ એટલે કે ‘હું’ ને મનોવિજ્ઞાનનું સાધન માનવામાં આવે છે. જ્યારે ભારતીય પદ્ધતિમાં ઈગોને ‘હું’ નહિં પણ આત્મા માની આધ્યાત્મિક યોગ પદ્ધતિની સારવાર કરવામાં આવી છે.’ તેમણે ઉમેર્યું કે, ‘થોડા વર્ષો પૂર્વે શરૂ કરેલી યોગ સાઈકોથેરાપીમાં યોગનું મનોવિજ્ઞાન, ધ્યાન પ્રાણાયામ, તણાવનો સકારાત્મક ઉપચાર અને આપઘાતનાં વિચારોમાંથી મુક્તિ એમ તબક્કાવાર દૃશ્ય-શ્રાવ્ય તથા પ્રેકટીકલ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમોને અત્યાર સુધી અસાધારણ સફળતા મળી છે.’

આંતરડાંને સ્વસ્થ રાખતું મિલ્ક ડ્રિંક યાકુલ્ટ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ઉપલબ્ધ, જાણો ખાસિયત

વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત