અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા માટે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ બેઠક સ્થળે પહોંચ્યા હતાં. હાર્દિક પટેલ પહોંચ્યો ત્યારે CWCની બેઠક ચાલી રહી હતી. હાર્દિકને સરદાર પટેલ સ્મારક ખાતે પ્રવેશ અપાયો હતો પરંતુ CWCની બેઠકમાં હાર્દિકને પ્રવેશ અપાયો ન હતો.




આ પ્રસંગે હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા લોકો કે જેમણે આ દેશ માટે કામ કર્યું છે તે પાર્ટીમાં આજે હું જોડાવા જઈ રહ્યો છું.



વધુમાં હાર્દિકે કહ્યું હતું કે, અમે બધાં સાથે મળીને દેશને મજબૂત બનાવવા માટે કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીને દરેક ગામે આ વિચારધારાને પહોંચાડીશું. આજે હું અધિકારી રીતે કોંગ્રેસમાં જોડાઈશ.



ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જ્યાંથી કહેશે તે બેઠક પરથી હું ચૂંટણી લડીશ. જોકે થોડા દિવસ પહેલાં જ હાર્દિકે કહ્યું હતું કે, હું જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાનો છું.