અમદાવાદઃ રાજ્યમાં ફરી પાટીદાર આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેમ લાગ છે. અનામત આંદોલન વખતે પાટીદાર યુવા-મહિલાઓ પર કરાયેલાં કેસો પાછા ખેચવા પાટીદાર આંદોલનકારીઓએ ફરી સરકાર સામે મોરચો  માડયો છે. સાણંદ નજીક એક ફાર્મ હાઉસમં પાસ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં સરકારને અલ્ટીમેટમ અપાયુ છેકે, જો તા.23મી માર્ચ સુધી પાટીદારો સામે નોધાયેલાં કેસો પાછા ખેંચવામાં નહી આવે તો રાજ્યભરમાં અહિંસક રીતે આંદોલન કરવામાં આવશે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપરાંત પાસ નેતા અલ્પેશ કથિરીયાના વડપણ હેઠળ એક બેઠકનું આયોજન કરાયુ હતું.


આંદોલન કર્યા સિવાય છૂટકો નથી


આ બેઠકમાં એક સ્વરે એવો રોષ ઠાલવવામાં આવ્યો હતોકે, પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ રાજ્ય સરકારે પાટીદારો સામે કેસો પાછા ખેચવા નિર્ણય કરાયો હતો.એટલુ જ નહીં, ત્રણ મહિનાની સમય અવધિ પણ પૂર્ણ થઇ છે તેમ છતાંય સરકાર કેસો પાછા ખેંચ્યા નથી. આ સંજોગોમાં પાટીદારો પાસે આંદોલન કર્યા સિવાય છૂટકો નથી.


હાર્દિક-અલ્પેશે શું કહ્યું


બેઠક બાદ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આંદોલનની જાહેરાત બાદ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આગેવાન નરેશ પટેલને ફોન કરીને પાટીદારો વિરૂધ્ધ થયેલા પોલીસ કેસો પાછા ખેચવા ખાતરી આપી હતી. બે-ત્રણ દિવસમાં પાટીદાર સંસ્થાઓના વડા-આગેવાનો મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરશે.  આંદોલન વખતે કરાયેલાં પોલીસ કેસો પાછા ખેચો અને આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમા  માર્યા ગયેલાં પાટીદાર શહીદપરિવારોના પરિજનને સરકારી નોકરી આપો. આ માંગો સ્વિકારવામાં નહી આવે તો આગામી તા.23મી માર્ચથી ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાટીદારોની માંગ નહી સ્વિકારાય તો બિનરાજકીય કમિટી બનાવી આંદોલન કરવા પાસની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.


હાર્દિક પટેલે કર્યુ ટ્વીટ


હાર્દિક પટેલે ટ્વીટ કરી લખ્યું, સરકારે આંદોલનને કચડવા મારી જેવા હજારો યુવાનો પર રાજદ્રોહ સહિત વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યા હતા. આ કેસ પરત ખેંચવા સરકારે વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી પાલન કર્યુ નથી. અમારું આંદોલન જરૂરિયાતમંદ પરિવારો માટે હતું અને અમે તેમાં સફળ રહ્યા. નીડરતાથી લડાઈ લડું છું એટલે તમામનો સાથ મળે છે. પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા ખોટા કેસ પરત લેવાની માંગ સાથે આઝે અમદાવાદમાં રાજ્યભરમાંથી આવેલા સંઘર્ષના સાથીઓ સાથે વાર્તાલાપ કર્યો. હવે અંતિમ ચેતવણી છે. આર યા પાર.