અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે સવારે જામનગરમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું. જે બાદ તેમણે વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી અને નિરાંત ક્રોસરોડ સુધી તેમાં મુસાફરી પણ કરી હતી. મેટ્રોને લીલીઝંડી આપતા પહેલા તેમણે પ્રોજેક્ટની માહિતી પણ મેળવી હતી.


મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ ઓપી કોહલીએ પણ મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મોદીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો, ઉપરાંત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.


મેટ્રોની વિશેષતા

- ટ્રેન આવશે ત્યારે જ દરવાજો ખૂલશે અને પેસેન્જર ટ્રેનમાં બેસે ત્યાર બાદ ઓટોમેટિક બંધ થઈ જશે.

- મેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોઈ પેસેન્જર ટ્રેક પર ન પડે તે માટે દરેક પ્લેટફોર્મ પર ‘પ્લેટફોર્મ સ્ક્રીનગાર્ડ’ લગાવાશે.

- આ ઉપરાંત મેટલ ડિટેક્ટર, સ્કેનર મશીન પણ લગાવાશે. ટિકિટ લીધા વગર કે ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળની મુસાફરી નહીં કરી શકાય.

- મેટ્રોના કુલ બે રૂટ છે જેમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિમી, અને 6.53 કિમી ટનલ અને 14.63 કિમીનો એલિવેટેડ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે.

- વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંનાં 4 મળી કુલ 17 સ્ટેશન, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપેરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાળુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજ. યુનિ., ગુરુકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ, થલતેજ ગામ સ્ટેશનનો સમાવેશ.