અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. આ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,  સામાન્ય લોકોને અત્યાધુનિક સુવિધાઓથી અને સારા તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે એએમસી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ જ્યાં પણ હશે તેઓ ખુશ થઇ રહ્યાં હશે, તેઓ તમને બધાને આર્શિવાદ આપી રહ્યાં હશે. મોદીએ કહ્યું કે, નવી બનેલી વીએસ હોસ્પિટલનું નિરિક્ષણ કરી હું મંત્રમુક્ત થઇ ગયો છું.


મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સુશાસનની સાથે સ્વચ્છતા અને જન આરોગ્ય માટે પણ સક્રિય હતા. જે શહેરથી સરદાર પટેલે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, તે શહેરમાં આવી હોસ્પિટલને જો ને સરદાર સાહેબની આત્માને શાંતિ મળશે. 2011-12માં આ હોસ્પિટલ અંગેનો વિચાર ચાલતો હતો ત્યારે અનેક ખોટી વાતો ચાલતી હતી. અગાઉ લોકો સરકારી હોસ્પિટલમાં જતા ડરતા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે આવનારા સમયમાં મોટી સંખ્યામાં રોજગારી મળી રહેશે. જેમાં ખાસ કરીને ડોક્ટર, નર્સ સહિત મેડિકલ સ્ટાફની માંગ વધશે જેનો સીધો ફાયદો રાજ્યના યુવાનોને થશે. વડાપ્રધાન મોદી આયુષ્માન યોજનાના ફાયદા ગણાવ્યા હતા. સાથે કહ્યું કે, ગરીબ પરિવાર મફતમાં અને સારી સારવાર મેળવી શકશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં આ પ્રથમ હોસ્પિટલ છે જ્યાં હેલિપેડની સુવિધા છે. ગંભીર બિમારીમાં ગરીબો સાથે સરકાર હોવાનો વિશ્વાસ ઉભો થયો છે.

વડાપ્રધાન મોદીએ હાલમાં જ દેશમાં આર્થિક રીતે પછાત ગરીબ પરિવારને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સૌથી પહેલા નવો કાયદો રાજ્યમાં લાગુ કર્યો.  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે જ્યારે વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાતને ઘણો ફાયદો થઇ રહ્યો છે.નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર્દીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. દર્દીઓને સુપર સ્પેશ્યાલિટી સેવાઓ મળશે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે મોદીજીએ આ સ્વપ્ન સેવ્યું હતું અને આજે વડાપ્રધાન તરીકે તેમણે લોકાપર્ણ કર્યું છે.   નોંધનીય છે કે આ અગાઉ મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી.  2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો.