અમદાવાદ : ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડી યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી મોદી આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.


21 દિવસ માટે યોજાનારી આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાશે. કેન્દ્રીય પ્રધાનમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના નેતા હાજર રહેશે. ગુજરાતના સીએમ, ડે.સીએમ અને પ્રધાનો પણ અલગ-અલગ સમયે દાંડી યાત્રામાં જોડાશે. પીએમ મોદી ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે. દેશ- વિદેશના મીડિયા પણ આ યાત્રામાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે કેવડીયા કોલોની ખાતે તૈયાર કરાયેલા સરદાર પટેલના દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યુને પ્રસ્થાપિત કર્યા બાદ હવે પીએમ મોદીનું વિઝન છે કે સાબરમતી આશ્રમને પણ વૈશ્વિક સ્તરે એવી રીતે ડેવલપ કરવામાં આવે કે જેથી દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે સાબરમતી આશ્રમએ નવલું નજરાણું બને. વૈશ્વિક સ્તરે એ ગાંધીજીની યાદગીરી તરીકે આ આશ્રમ પર્યટન સ્થળ તરીકે ડેવલપ થાય.