અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રમુખપદે નિમાયેલા સી.આર. પાટિલ ગુરૂવારે નવી દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદી સાથેની મુલાકાતમાં પાટિલે ગુજરાતમાં ભાજપના આગામી કાર્યક્રમો તથા વ્યૂહરચના અંગે માહિતી આપી હોવાનું કહેવાય છે.


મોદીએ સી.આર. પાટિલ સાથેની પોતાની મુલાકાત અંગે ટ્વિટ કરીને પાટિલનાં ભરપૂર વખાણ કર્યાં છે. મોદીએ લખ્યું છે કે, હું ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને મળ્યો. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા પાટિલે ભાજપમાં સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરીને પ્રગતિ કરી છે. પાટિલ અસામાન્ય કાર્યકર તરીકે બીજાં બધાંથી અલગ તરી આવે છે. સાંસદ તરીકેની તેમની કામગીરીની પણ પ્રસંશા થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, પાટિલના નેતૃતવમાં ગુજરાત ભાજપ નવી ઉંચાઈઓ હાંસલ કરશે.

સી.આર. પાટિલે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાત અંગે લખીને તેની તસવીરો મૂકી છે. પાટિલે લખ્યું છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનાં આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા રૂબરૂ મુલાકાત લીધી, ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધારે મજબૂત બનાવવાની ખાતરી આપી.