અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા દિવસથી કંટ્રોલમાં આવ્યું છે અને કેસો એક હદથી વધી નથી રહ્યા ત્યારે તંત્ર ફરીથી અમદાવાદમાં કોરોના ઉથલો ન મારે તે માટે સજ્જ બન્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એક્શન પ્લાન બનવવામાં આવ્યો છે અને તેને અનુસંધાને વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે.


અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. તેમજ સુરતથી આવતાં તમામ લોકોનો ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સ્ક્રીનિંગ દરમિયાન 25 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. એટલું જ નહીં, સુરતથી કારમાં આવેલા એક જ પરિવારના ચાર લોકો પોઝિટિવ મળી આવ્યા છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના એસટી બસ સ્ટેન્ડ પર પણ આવતા-જતા તમામ લોકોનો ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા તમામ બેંકના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.