અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સાંજે 5.15 વાગે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1ના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કના 6.50 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે રૂપિયા 5,384 કરોડના મોટેરાથી મહાત્મા મંદિરના 28.2 કિ.મી.ના ફેઝ-2નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.




વડાપ્રધાનના હસ્તે વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન ખાતે સ્વદેશી નિર્મિત તથા ઉત્પાદન કરેલાં ઓટોમેટિવ ફેર કલેક્શન ગેટ સ્વાગતનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ઓ.પી. કોહલી, વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરી અને અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકો સાથે વસ્ત્રાલથી નિરાંત ક્રોસ રોડ સુધીની મેટ્રોમાં સફર માણી હતી.



મેટ્રો રૂટ ઉપર મેટ્રો રેલનું આગમન જોવા માટે આસપાસના ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. મેટ્રો રેલના બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.



મેટ્રો-મેગા કંપનીએ જાહેરાત કરી છે કે, આગામી 6 માર્ચ સવારે 10 વાગ્યાથી મેટ્રો દોડતી થશે જેમાં અગામી 10 દિવસ સુધી નાગરિકો મેટ્રોની 6.5 કિ.મી.ની મુસાફરી વિનામૂલ્યે કરી શકશે.



મેટ્રો-મંગા કંપની દ્વારા મેટ્રો રેલના ભાડા પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં 2.5 કિ.મી. સુધીની મુસાફરીનું લઘુતમ ભાડું રૂપિયા 5 રહેશે જ્યારે 2.5 કિ.મી.થી 7 કિ.મી. સુધીના રૂટનું ભાડું રૂપિયા 10 રહેશે. એટલે હાલમાં એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનું ભાડું રૂપિયા 10 વસુલવામાં આવશે.