અમદાવાદઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આદ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના દિવસે 95 વર્ષે સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા. BAPSના દેશ-વિદેશ ખાતે રહેતાં કરોડો અનુયાયીઓ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે. જોકે શતાબ્દી મહોત્સવ ક્યાં ઉજવાશે તેની જાહેારત કરી દેવામાં આવી છે.


બોચાસણમાં યોજાયેલી એક સભામાં સંત કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, વર્ષ 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ સાંભળીને હરીભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ શતાબ્દી મહોત્સવ 34 દિવસનો રહેશે. જેનો પ્રારંભ 9 નવેમ્બર, 2021 કારતક સુદ પાંચમે (લાભ પાંચમ) થશે અને પૂર્ણાહુતિ 10 ડિસેમ્બર, 2021 માગસર સુદ આઠમના દિવસે થશે. આ શતાબ્દી મહોત્સવમાં લાખો ભક્તો દર્શનનો લાભ લેશે તેવું અનુમાન છે.

મહોત્સવની વિશાળ ભૂમિ પર સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવશે. જેમાં ભવ્ય દરવાજા, કલાત્મક મંદિરો, આદર્શ ભક્તોનાં રમણીય સ્પોટ, પ્રેરક પ્રદર્શનો વગેરે અનેક જોવાલાયક આકર્ષણો બનાવવામાં આવશે. શતાબ્દી મહોત્સવનાં સભા મંડપમાં રોજ સાંજે પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશનાં લાખો લોકો પધારીને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.