અમદાવાદ:  પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામીનગરની મોટાભાગની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ છે.  14 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખ સ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકવામાં આવશે.  આ ભવ્ય સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહેશે.


ઉદ્ધાટન સમારોહમાં એક લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે. આ ઉદ્ધાટન સમારોહમાં બીએપીએસના યુવા કાર્યકરો અને સંતોએ તૈયાર કરવામાં આવેલ વિવિધ નૃત્ય અને કલા રજુ કરવામાં આવશે.  શતાબ્દી મહોત્સવના એક મહિનાના કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશના અનેક વીવીઆઈપી મહેમાનો પધારશે. ઉદ્ધાટનના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ શકશે.  600 એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશ દ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.  
સાથે સાથે આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે. 600 એકરમાં તૈયાર થયેલ નગર માટે 250 કરતા વધુ બિલ્ડરો અને ખેડૂતોએ નિઃસ્વાર્થ સહયોગથી જમીન આપી હતી.  જે બાદ સતત દોઢ વર્ષની મહેનત બાદ આ નગર તૈયાર કરવામાં આવ્યું છે.  પ્રમુખસ્વામીનગરની વિશેષતાઓમાં અનેક તૈયારીઓ કરવામાં આવી છે.  જેમાં સાત ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે.  જેમાં મુખ્ય પ્રવેશદ્વારને સંતદ્વાર નામ અપાયું છે.  જેમાં ભારતના 28 જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઉંચી મૂર્તિઓ મુકવામાં આવી છે. 


મુખ્ય પ્રવેશ દ્વાર સામે પ્રમુખ સ્વામી મહારાજની 30 ફુટ ઉંચી સ્વર્ણિમ પ્રતિમા  15 ફુટ ઉંચાઈ ધરાવતી પીઠીકા પર મુકવામાં આવી છે.  તો તેની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યાને દર્શાવવામાં આવી છે.  જ્યારે બાળકો માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે નગરીનું સંચાલન 4500થી વધુ બાળકો સંચાલિક કરશે.  સાથે સાથે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.  જેની બાજુમાં દસ એકરમાં ફેલાયેલો ગ્લો ગાર્ડન તૈયાર કરાયો છે.  જેમાં આઠ હજાર જેટલા ફુલો મુકવામાં આવ્યા  છે.  વિવિધ કદના પ્રાણીઓ, ધાર્મિક ચિહ્નો અને ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જે સાંજના સમયે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો એક સાથે 20 હજાર મુલાકાતીઓ નિહાળી શકશે. 


આ સાથે જ વિવિધ થીમના પાંચ પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા  છે.  તેમજ 125થી વધુ બાથરૂમ અને ટોયલેટ તૈયાર કરાયા છે.  જેની સાફસફાઈ નિયમિત થાય તે માટે 2200થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. અન્ય સ્વયંસેવકોની વાત કરીએ તો મહોત્સવ સર થશે ત્યારે નગરમાં 80 હજાર જેટલા સ્વંયસેવકો નગરની જવાબદારી સંભાળશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો, દરરોજ સાંજે ભક્તિ-કિર્તન આરાધના પણ યોજાશે.  600 એકરમાં તૈયાર થયેલ નગર ગુજરાતનો આ પ્રથમ મહોત્સવ છે.  જેમાં દરરોજ બેથી અઢી લાખ મુલાકાતીઓ આવાની શક્યતા છે.