અમદાવાદઃ હાલ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાતે સુસવાટા ભર્યો પવન આવે છે જ્યારે દિવસે ગરમી લાગી રહી છે. જોકે 8થી 12 મે દરમિયાન અરબી સમુદ્રમાં મધ્ય લેવલ પર ડેવલપ થનારા ટ્રફને કારણે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે છાંટા કે ઝાપટાં પડે તેવી સંભાવના છે.

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી રાહત રહી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 40.4 અને લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસ શહેરમાં ગરમીથી રાહત રહે તેવી સંભાવના છે.

સાઈક્લોનિક સરક્યુલેશનથી શરૂ થયેલાં ઠંડા પવનોથી ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજસ્થાનની સાથે ગુજરાતમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી સોમવારે બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આગામી 9 મેનાં રોજ મધ્ય લેવલમાં ટ્રફ સર્જાશે અને ગુજરાત સુધી લંબાશે. જેને કારણે વાતાવરણમાં પલટો આવી વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે આ પહેલા અમરેલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.