અમદાવાદઃ ગુજરાતમાં કોરોના(Gujarat Corona)નો કહેર વધતો જાય છે તેથી લોકો ચિંતામાં છે. રાજ્ય સરકારે પણ લોકોને સાવચેતી રાખવા માટે કહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે વર્તવા કહ્યું છે ત્યારે આશ્ચર્યજનક રીતે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLA)નો ભોજન સમારંભ યોજાવાનો છે.


ગાંધીનગર નજીકના એક ફાર્મમાં આજે મંગળવારે યોજાનારા આ જમણવારનું આયોજન ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat Congress) ના રાજ્યસભાના સાંસદ (Rajyasabha MP) શક્તિસિંહ ગોહિલ   દ્વારા કરવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તરફથી કરાયેલા જમણવારમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને નેતા હાજર રહેશે. હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 65 છે. આ ઉપરાતં વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને ટેકો આપે છે એ જોતાં આ સમારોહમાં 66 ધારાસભ્યોને હાજર રહેવા નિમંત્રણ અપાયું છે પણ કેટલાક ધારાસભ્યોને કોરોના થયો હોવાથી 60 જેટલા ધારાસભ્યો હાજર રહે તેવી શક્યતા છે.  


સામાન્ય રીતે દર વર્ષે શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો માટે ભોજન સમારોહનું આયોજન કરાતું હોય છે. હાલમાં કોરોનાની સ્થિતી છે તેથી વધારે લોકો ભેગાં ના થાય તેનું ધ્યાન રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ છે. 


રાજ્યમાં કોરોના સંક્રમણમાં  થોડો ઘટાડો થઈ રહ્યો છે.  ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે.  કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા બે દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  


 


રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે. 


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.