અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ અને સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના પાંચ જિલ્લા મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અમરેલી અને રાજકોટમાં લોકડાઉની ફરી માંગ ઉઠી છે. ચાર જિલ્લામાં તો ધારાસભ્યો દ્વારા કલેક્ટરને પત્ર લખીને લોકડાઉનની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારોના કલેક્ટરોને પત્ર લખીને ફરીથી લોકડાઉન લાદવાની માંગ કરી છે. તેમણે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી હોવાનો દાવો પણ કર્યો છે.


મોરબી જિલ્લામાં ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, અમરેલી જિલ્લામાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા, સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા અને મહેસાણામાં કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા લોકડાઉનની માંગ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉનની માંગ ઉઠી છે.

અમરેલીમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કલેકટરને પત્ર પાઠવ્યો છે. અમરેલી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ બાબતે ચુસ્ત લોકડાઉન કરવા માંગ કરી છે. અમરેલીમાં કોરોનાના કેસનો આંકડો 200 ઉપર પહોંચ્યા છે, તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જિલ્લામાં યોજાતા રાજકીય સંમેલનો રોકવા માંગ કરવામાં આવી છે.

મહેસાણા જીલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે જીલ્લામાં ફરી લોકડાઉન કરવાની કરી માંગ સાથે મહેસાણાની કોવિડ હોસ્પિલમાં પણ નિયમ કડક કરવા કરી માંગ કરી છે. જીલ્લામાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. બહુચરાજી મહેસાણા કડી વિસનગર ઉંઝા સહિતના સહેરમાં માં વધુ કેસ આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સહેરમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું અને લોકો બેખોફ ફરી રહ્યા છે ત્યારે જીલ્લામાં હજુ કોરોનાનું સંક્રમણ વધી શકે છે, તેવામાં બહુચરાજી ના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે જીલ્લામાં ફરી લોકડાઉન કરવા તંત્ર ને અપીલ કરી છે અને મુખ્ય મંત્રીને રૂબરૂ મળી આ મુદ્દે રજૂઆત પણ કરવાના છે.