અમદાવાદમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક એક હજાર 296 પોઝિટીવ કેસ નોંધાયા. તો 12 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસી સંખ્યા વધીને ત્રણ હજાર 421 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 75 હજાર 570 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક પણ બે હજાર 353 પર પહોંચી ગયો છે.


અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી ભયાવહ થઈ ગઈ છે કે શહેરમાં સરકારી એમ્બ્યુલંસ અને શબવાહીની મેળવવા માટે બે કલાકથી પણ વધુના સમયનું વેઈટિંગ ચાલી રહ્યું છે. સરકારી જ નહી લોકોને ખાનગી એમ્બ્યુલંસ મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે.


અમદાવાદમાં શુક્રવારે 485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં કોરોનાનું એ હદે સંક્રમણ વધ્યું છે કે છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેરના અલગ અલગ દરેક વિસ્તારને સેનેટાઈઝર કરવાની કામગીરીમાં જોડાયેલા અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ પર આ વર્ષે ગાજ વરસી છે. ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સહિત છથી વધુ અધિકારીઓ ઉપરાંત કુલ 20 ફાયર સ્ટાફના કોરોના સંક્રમિત થયા છે. તો મનપાની ચૂંટણીમાં લોકોના ટોળા એકઠા કરનાર કોર્પોરેટરો પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.


શાહપુરના મહિલા કોર્પોરેટર પોઝિટીવ આવ્યા બાદ શુક્રવારે સરદારનગર વોર્ડના કોર્પોરેટર સુરેશ દાનાણી અને ચંદ્રપ્રકાશ ખાનચંદાણી કોરોના પોઝિટીવ થયા છે. સંક્રમણ વધવાની સાથે અમદાવાદમાં માઈક્રો કંટેઈમેંટ ઝોનની સંખ્યા પણ વધવા લાગી છે. શુક્રવારે વધુ નવા 34 માઈક્રો કંટેઈમેંટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘોટલોડિયાના રો-હાઉસના 850 લોકોને માઈક્રો કંટેઈમેંટમાં મુકાયા છે. બોડકદેવ વોર્ડના 570 લોકો અને મેમનગરના 280 લોકોને માઈક્રો કંટેઈમેંટ સ્થળમાં મુકાયા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. 


રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.