અમદાવાદઃ  કોરોનાને હરાવ્યા પછી દર્દીઓને મ્યુકરમાઈકોસિસ નામનો ખતરનાક રોગ થાય છે. આ રોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યાં હવે  કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ફાઇબ્રોસિસ રોગનું પ્રમાણ વધી રહ્યુ છે હોવાના અહેવાલ છે. ફાઈબ્રોસિસ રોગમાં ફેફસાંના કોષોમાં સોજો આવી જતાં રક્તનાહિનીઓમાં લોહીની ગાંઠ થઇ જાય છે. આ ગાંઠ દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ડોક્ટરોના મતે, કોરોનાથી મુક્ત થયેલાં 100 દર્દી પૈકી 25

  લોકોને ફેફસાંમાં ગાંઠ એટલે કે ફાઇબ્રોસિસ રોગનો શિકાર બની રહ્યાં છે.


ડોક્ટરોના મતે, કોરોનાથી સાજા થયેલાં દર્દીઓમાં ફાઇબ્રોસિસનું વધતું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. ફાઈબ્રોસિસ ફેફસાંમાં વાયુકોષમાં થાય છે. કોરોનાથી મુક્ત થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ફેફસાંમાં રહેલાં કોષોને સૌથી પ્રથમ અસર થાય છે જેના કારણે રકત નળીમાં લોહીની  ગાંઠ બને છે અને લોહીના ભ્રમણમાં અવરોધ સર્જે છે.  તેના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ છે પણ હાલમાં  કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસનું પ્રમાણ વધી રહ્યું છે. પ્લેક ફંગસની સારવાર અત્યંત મોંઘી છે અને આ રોગ પણ જીવલેણ છે. આ બ્લેક ફંગસનો ખતરો ટળ્યો નથી ત્યાં હવે ફાઈબ્રોસિસ રોગના કેસો વધતાં ભારે ફફડાટ છે. અત્યારે કોરોનાથી સાજા થયેલાં 100 દર્દીઓ પૈકી 25 દર્દીઓમાં ફાઇબ્રોસિસ રોગ થાય છે અને આ પ્રમાણ બહુ ઉંચુ છે એવું ડોક્ટરો પોતે સ્વીકારે છે.


દેશમાં કોરોનાની બીજી લહેર શમી રહી છે પણ ત્રીજી લહેર વિશે ચેતવણી અપાઈ રહી છે ત્યારે કોરોનાના દર્દીઓમાં થતા નવા નવા રોગ મોટી મુશ્કેલી સર્જશે. તેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે એ પણ ખતરનાક છે.