ગાંધીનગર: હાલમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ પહેલા પણ ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટનાઓ બની ચૂંકી છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓની માગ છે કે, આ અંગે કડક કાયદો બનાવવામાં આવે જેથી કોઈ પેપર લીક કરવાની હિંમત ન કરે. હવે આ વાતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી છે.


પેપર ફૂટવા અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જુનિયાર ક્લાર્કના પેપર લીક અંગે પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક રેડ કરવામાં આવી. લાયકાત વાળા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ્દ કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, છેલ્લા 3- 4 મહિનાથી કડક કાયદો બનાવવાની કવાયત ચાલુ છે. વિધાનસભામાં કડક સજાવાળો કાયદો ઘડવામાં આવશે. જે પરીક્ષાઓ અટકી છે તે પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવામાં આવશે.  નવા કાયદામાં કડક જોગવાઈ હશે.  પેપર જ્યાં છપાશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે તમામ લોકોની જવાબદારી બનશે. આવનાર બજેટ સત્રમાં જ પેપરલીક મામલે ગુજરાત સરકાર નવો કાયદો લાવશે.


કેન્દ્રીય બજેટ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું 
 
ઋષિકેશ પટેલે કહ્યું કે, કેન્દ્રીય બજેટ સપ્તઋષી સમાન છે. અમૃતકાળનું ઐતિહાસિક બજેટ છે. ગુજરાતના હીરા ઉદ્યોગ અને ગિફ્ટ સિટીને મજબૂતી પ્રદાન કનારું બજેટ છે.  શેરબજારે પણ આ બજેટને આવકાર્યું છે અને વખાણ્યું છે.


આજે મળેલી કેબિનેટ બેઠક અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ઘાસનો જથ્થો આપડી પાસે પર્યાપ્ત છે.  સરકારી જમીન પરનું ઉભુ ઘાસ ફ્રીમાં અપાશે. પશુપાલકો, ગૌશાળાઓને ઘાસ જોઈએ તે લઈ જઈ શકે છે. તો બીજી તરફ ગેરકાયદે મીટ શોપ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવી મીટ શોપો બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરાવવામાં આવશે. આ મીટ શોપ બંધ કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. સમગ્ર રાજ્યમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ બંધ કરાવાશે. સમગ્ર રાજ્યમાં 4 હજાર થી વધુ ગેરકાયદે મીટ શોપ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે 1387 દુકાનો બંધ કરાવવામાં આવી છે. લાયસન્સવાળી દુકાનોમાં પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે.


આ ઉપરાંત તારીખ 15 અને 16 વિધાનસભામાં કાર્યશાળા યોજાશે. વિધાનસભામાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો માટે કાર્યશાળાનું આયોજન કરાશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા આ કાર્યશાળાના ઉદ્ઘાટનમાં હાજર રહેશે.