અમદાવાદ: ઓરિસ્સાના ફોની વાવઝોડાની સીધી અસર ગુજરાતમાં પડી છે. વાવાઝોડા કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમદાવાદથી પુરી જતી તમામ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે જ્યારે પુરીથી અમદાવાદ આવતી તમામ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા છે.

ફોની વાવાઝોડું ઓરિસ્સા તરફ ફંટાતાં 200 કિલોમીટરની સ્પીડે ત્રાટક્યું છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 100થી વધુ ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારે વલસાડથી રાત્રે ઉપડતી 8.15 વાગ્યાની વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફોની તોફાનની આગાહીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. રાત્રે ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જ મુસાફરોને જાણ કરતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતાં.

નારાજ મુસાફરો અગાઉ જાણ ન કરાતા સ્ટેશન પર ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે અકળાયેલા મુસાફરોને માંડ-માંડ શાંત પાડવામાં આવ્યા હતા. વાપી, ઉમરગામ, દમણ અને સેલવાસથી આવેલા મુસાફરોને સ્ટેશન પર રહેવાની ફરજ પડી હતી.