અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમને લઈને રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની દીકરીને મળવા માટે ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધા નહતાં. ત્યારે સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવે છે.

નિત્યાનંદે જણાવ્યું હતું કે, હું પહેલા તમને મારું સ્ટેન્ડ કહી દઉં જે કોઈ મારા પર હુમલો કરે છે તે સિક્રેટ જાણે છે કે, જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. તેઓ જાણે છે કે જો તેમના ભક્તોને નિશાન બનાવાશે તો હું ઝુકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ હું ઝુકવાનો નથી. મારાં ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતના ભક્તો શ્રેષ્ઠ છે, હું તેમનું નામ લેવા માગતો નથી. તેમની મારા પ્રત્યેની વફાદારી છે.

આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઉભા છે. મીડિયા દ્વારા તેને અલગ-અલગ રીતે નિશાન બનાવવામાં આવે છે. હું મારા ગુજરાતના ભક્તોનો ખૂબ આભારી છું. મીડિયા તેમને નિશાન ન બનાવે તે માટે હું તેના નામ આપીશ નહીં. પરંતુ હું ભક્તોની હેરાનગતિ જોઈ શકું નહીં. અમને અન્ન, રહેઠાણ સહિત તમામ મદદ કરવા બદલ હું ગુજરાતના ભક્તોનો આભારી છું.