અમદાવાદઃ તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાં 14 દિવસ અગાઉ મળેલી મહિલાની લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં હત્યા થઈ તે મહિલાને એક પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુરૂષની પત્નિએ જ હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે.


હરસોલના ટીંબાવાસમાં રહેતી મહિલાને પોતાના પતિ સાથે આડા સબંધ હોવાની જાણ થતાં લાકડા વિણવા આવેલી પતિની પ્રેમિકાની કુહાડીના ઘા મારી હત્યા કરાઈ હોવાનુ બહાર આવતા તલોદ પોલીસે હત્યા કરનાર મહિલાની એસઓજીની મદદથી ધરપકડ કરી છે.

હરસોલની સીમમાં ગૌચરની જગ્યાએથી 29 સપ્ટેમ્બરના રોજ લાશ પડી હોવાની જાણ થતાં તલોદ પોલીસે કહોવાઈ ગયેલી લાશનો કબ્જો લીધો હતો. પોસ્ટ મોર્ટમમાં મૃતકની કુહાડીના માથમાં ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં તલોદ પોલીસે જે સ્થળેથી લાશ મળી આવી હતી તે સ્થળની તપાસ કરતાં એક મહિલાની બંગડી મળી આવી હતી. જે આધારે તલોદ પોલીસે ટીંબાવાસમાં જઈને તપાસ શરૂ કરી હતી.

પોલીસને ટીંબાવાસમાં રહેતા કાંતાબેન રવિભાઈ પગીને આજ મહોલ્લામાં રહેતા ઉર્મિલાબેન રણજીતભાઈ પગીના પતિ સાથે આડા સબંધ હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે શંકાસ્પદ એવા ઉર્મિલાબેનની પૂછપરછ કરતાં તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, કાંતાબેન પગીને પતિ રણજીતભાઈ પગી સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઉર્મિલાબેને 24 સપ્ટેમ્બરના રોજ હરસોલ ગામની સીમમાં કાંતાબેનની કુહાડીના ઘા મારી હત્યા કરીને લાશ ફેકી દીધી હતી. પોલીસે ૧૮ દિવસમાં ભેદ ઉકેલીને મહિલાની હત્યા કરનાર મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.