Gujarat Politics: ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી જ છે. આજે તેમણે ફોર્મ ભરી દીધુ છે. તેમની સામે કોઈ અન્યએ ફોર્મ ભર્યું નથી તેથી તેઓ બિનહરીફ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાશે તે નક્કી છે. તમને જણાવી દઈએ કે, નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાથી આવે છે. આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઓબીસી નેતાને કમાન સોંપી ચૂકી છે.
OBC નેતૃત્વ પર ત્રણ મુખ્ય પક્ષોનો ભરોસોગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસી (OBC) નેતાઓનું પ્રભુત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનું પ્રદેશ નેતૃત્વ ઓબીસી નેતાઓને સોંપ્યું છે, જે દર્શાવે છે કે રાજ્યની રાજનીતિ હવે ઓબીસી તરફ ઝુકી રહી છે.
- આપ (AAP): ઈસુદાન ગઢવી
- કૉંગ્રેસ: શક્તિસિંહ ગોહિલ (પૂર્વે જગદીશ ઠાકોર) / પૂર્વે અમિત ચાવડા
- ભાજપ (BJP): જગદીશ વિશ્વકર્મા
રાજ્યની મોટાભાગની વિધાનસભા બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. ગુજરાતમાં 50 ટકા કરતાં પણ વધુ મતદારો ઓબીસી સમુદાયના છે, જેના કારણે ત્રણેય પક્ષોએ ઓબીસી નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે.
ભાજપમાં OBC નેતાઓનો વધતો પ્રભાવભાજપના સંગઠનમાં પણ ઓબીસી નેતાઓનું મહત્ત્વ વધ્યું છે. જગદીશ વિશ્વકર્મા ભાજપના ત્રીજા પ્રદેશ અધ્યક્ષ છે જેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમની પહેલા કાશીરામ રાણા અને વજુભાઈ વાળા જેવા ઓબીસી નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું છે. હાલમાં, ભાજપમાં લગભગ 50 ધારાસભ્યો ઓબીસી સમુદાયના છે.
દિવાળી પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિતએબીપી અસ્મિતાની EXCLUSIVE જાણકારી મુજબ, દિવાળીના તહેવાર પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે. શરદ પૂનમથી દિવાળી સુધીના સમયગાળામાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.
મોટા ફેરફારોની શક્યતામંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલમાં પરફોર્મન્સને આધાર બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર, ચારથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તે લગભગ નક્કી છે, જેમાં મંત્રી બચુ ખાબડનું પદ પરથી પડતું મુકાવું સંપૂર્ણપણે નિશ્ચિત માનવામાં આવે છે. તેઓ ગણા સમયથી કેબીનેટ બેઠકમાં હાજર રહ્યા નથી. દાહોદના કથિત મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોની ધરપકડ થતા બચુ ખાબડને પડતા મુકાઈ શકે છે. આ ઉપરાંત આઠ જેટલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે.
હાલમાં જગદીશ વિશ્વકર્માનું ગુજરાત અધ્યક્ષ બનવાનું નક્કી છે. તેઓ પ્રદેશ અધ્યક્ષ બનતા જ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બન્ને અમદાવાદથી હશે. જે બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા નેતાઓને મંત્રી મંડળમાં મોટી જવાબદારી મળી શકે છે. જો કે, આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં ડેપ્યૂટી સીએમની જવાબદારી પણ કોઈ મોટા નેતાને સોંપવામાં આવી શકે છે. બે જેટલા રાજ્યમંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત હાલના મંત્રીઓના ખાતા બદલાવાનું પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે.