સિવિલ હોસ્પીટલમાં એક બાદ એક બેદરકારી સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના નિકોલના દેવરામભાઈના દર્દીને દાખલ કર્યાં બાદ મોત નીપજ્યું હતું તો પરિવારે અંતિમ વિધિ કર્યાં બાદ ફોન આવ્યો કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે. મોત કેવી રીતે થયું તેને લઈને સિવિલ પ્રશાસન શંકાના ઘેરામાં છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે કોરોના બાદ હવે અન્ય રોગોના દર્દીઓ માટે પણ મોતની હોસ્પિટલ બની ગઈ છે. નિકોલના પુરુષોત્તમ નગર વિસ્તારમાં રહેતા દેવરામભાઈ નામના વૃદ્ધને ડાયાબીટીસ વધતા તેમને 28 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં ત્યાર બાદ પરિવારજનોને ઘરે જવાની સૂચના મળી હતી અને પરિવારના લોકોએ દેવરામભાઈ સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી.

દાખલ કર્યાંના 22 કલાકમાં એટલે કે 29 મેના રોજ દેવરામભાઈના મોતના સમાચાર આવ્યા હતાં. શરૂઆતમાં પરિવાર માની ન શક્યો કે ડાયાબિટીસના કારણે મોત નીપજ્યું કે કેમ? કારણ કે દેવરામભાઈને શંકાસ્પદ હોવાના કારણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 29 મેના રોજ બપોરે 4 કલાકે PPE કીટ પહેરીને પરિવારના સભ્યોએ દેવરામભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો હતો અને અગ્નિ સંસ્કારના એક દિવસ બાદ ફરી સિવિલના કંટ્રોલ સેન્ટરથી ફોન આવ્યો કે દેવરામભાઈને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેથી તેમને જનરલ વોર્ડમાં દાખલ કર્યાં છે.