અમદાવાદઃ રાજ્ય સરકારે અમદાવાદના કાલુપુર હોલસેલ અનાજ બજારને ખુલ્લુ રાખવા મંજૂરી આપી દીધી છે. મંજૂરી મળતાં આજથી આ બજાર ખુલી જશે. અમદાવાદ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન અને તંત્ર વચ્ચે બેઠક બાદ મંજૂરી આપી દેવામાં આવી છે. સવારે 8 થી બપોરના ૧ વાગ્યા સુધી અનાજ માર્કેટ ખુલ્લું રાખી શકાશે.


જોકે, સરકારે બજાર ખોલવા માટે કેટલીક શરતો રાખી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. વેપારીઓ દ્વારા દુકાન પર ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદનાં ત્રણ મોટાં બજાર માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ બજાર મંગળવારથી ચાલુ કરી દેવાની છૂટ સોમવારે જ આપી હતી, જેથી બુધવારથી આ બજારો ચાલું થઈ જશે. માધુપુરાના બંને બજાર કન્ટેઈનમેન્ટ એરિયાથી થોડા દૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી દરવાજાની સામેના વિસ્તારમાં આવેલા બજારને પણ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની શરતે જ આ છૂટ આપવામાં આવી છે.

આ અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર વિપુલ મહેતાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કરિયાણાના છૂટક વેપારીઓ પાસે માલનો જથ્થો નથી. આ ઉપરાંત જથ્થાબંધ તથા મધ્યમ કક્ષાના વેપારીઓ પાસેથી માલનો સપ્લાય અટકી પડયો હોવાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેતાએ જણાવ્યું હતું કે નવા અને જૂના માધુપુરાની તમામ દુકાનો, કાળુપુર ગ્રેઈન માર્કેટ એટલે કે ચોખા બજાર અને કઠોળ બજાર ચાલુ કરી દેવાની છૂટ આપવામાં આવી છે. તેના કારણે છૂટક અનાજ કરિયાણા અને કઠોળના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી બેફામ પૈસા લેવા પર પણ બ્રેક લાગી જવાની શક્યતા છે. ચોખા બજારને છૂટ મળી છે પણ તેલનું બજાર ચાલુ થશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ કઠોળ બજારને ખોલવાની છૂટ આપી દેવામાં આવતાં છેલ્લા બે મહિનાથી લગભગ બંધ પડી ગયેલા આ ત્રણેય બજાર મંગળવારથી ધમધમી ઉઠશે.

આ બજારના એસોસિયેશને તેમના એકમો ચાલુ કરવા દેવાની છૂટ આપવાની લેખિત રજૂઆત પખવાડિયા પૂર્વે કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ મંજૂરી આપવામાં આવી છે.