કોરોનાની મહામારીને લીધે આ વર્ષે 31 ડિસેમ્બરની ઉજવણી બંધ રાખવામાં આવી છે. જ્યારે રાતના 10 વાગ્યાથી કર્ફ્યૂ હોવાથી પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત રહેશે. ત્યારે આ વર્ષે કોરોનાને લીધે નશાખોરોને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહી કરે. સાથે જ પોલીસે કોઈ વ્યક્તિનું મોં પણ નહીં સૂંઘે.


આ વર્ષે પોલીસે શંકાસ્પદ લોકોના વાણી-વર્તન અને તેની ચાલના આધારે કાર્રવાઈ કરશે. સાથે જ શંકાસ્પદ લોકોના કોવિડ સેંટરમાં બ્લડ ટેસ્ટ કરીને રિપોર્ટના આધારે કાર્રવાઈ કરશે.

અમદાવાદમાં ચાર હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. સાત ડિસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 100 પીએસઆઈ, 350 પોલીસકર્મી શહેરના એંટ્રી અને એક્ઝિટ પોઈંટ પર તૈનાત રહેશે. સાથે જ 1800 સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે.

આ વર્ષે ન્યૂ યર નાઈટ પાર્ટી યોજાનાર નથી તેવા સંજોગોમાં અનેક લોકો શહેરથી દૂરના વિસ્તારોમાં પોતાના કે મિત્રોના ફાર્મહાઉસ પર એકઠાં થનાર છે. આવા લોકોની મોડીરાતે કે વહેલી સવારે થનારી અવરજવર પર પણ પોલીસ નજર રાખશે.

હોટલોમાં યોજાતી 60 જેટલી ન્યૂ યર પાર્ટી યોજાનાર નથી ત્યારે અનેક ઘરોમાં ન્યૂ યર પાર્ટી યોજાશે. આવી પાર્ટી કે ઘરોમાં ચાલતાં ગેટ-ટુ-ગેધરમાં કંઈક ખોટું થઈ રહ્યાની ફરિયાદ મળશે તો ચેકીંગ કરવા માટે પોલીસ સતત સક્રિય રહેશે.

આવા દરોડા પાડવા માટે સ્પેશિયલ પોલીસ ટીમ તહેનાત કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચની ટીમોને ખાસ પ્રકારની કામગીરી સોંપીને પેટ્રોલિંગમાં પ્રવૃત્ત કરવાના આયોજન કરવામાં આવશે.