અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યાં છે જ્યારે પત્રકારત્વ છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા ઈસુદાન ગઢવીએ રસપ્રદ ટ્વિટ કરી છે.

Continues below advertisement

ઈસુદાન ગઢવીએ સોમવારે ટ્વિટ કરી હતી કે, મૈં AAP મેં નહીં હૂં, AAP મુઝમેં હૈ, ટાઈગર અભી જિંદા હૈ....ઈસુદાન ગઢવી.

ઈસુદાને સોમવારે AAPના ત્રણ નેતા પક્ષ છોડી ગયા તેના સદર્ભમાં આ ટીપ્પણી કરી હતી એ કહેવાની જરૂર નથી. પહેલાં સોમવારે  સવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.  ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

વિજય સુવાલા અને નીલમબેન વ્યાસ AAP છોડીને ભાજપમાં જોડાયાં તેના પડઘા શમે એ પહેલાં સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીએ AAP છોડવાની જાહેરાત કરી હતી. આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો હતો. 

મહેશ સવાણી કોઈ પક્ષમાં જોડાયા નથી પણ તેમણે ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો છે. મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે  મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.