અમદાવાદઃ દેશને સ્વતંત્ર થયેલ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા(રાષ્ટ્રીય અભિલેખાગાર) દ્વારા ત્રણ પુસ્તકો અને ઉપરાંત ‘અભિલેખ પટલ’ નામની એપનું લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે 20 જૂન 2022ના રોજ બપોરે 12 વાગ્યે યોજાયો હતો. ત્રણ પુસ્તકોમાં પ્રથમ છે : થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’,  બીજું રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ અને ત્રીજું અભિલેખોં કા પરિરક્ષણ ઓર પ્રતિસંસ્કાર. આ ત્રણેય પુસ્તકો વિમોચન માનનીય કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલજી દ્વારા કરવામાં આવ્યા હતાં. એપનું લોન્ચિંગ પણ શ્રી અર્જુન રામ મેઘવાલજીએ કર્યુ હતું.  


‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’નામનું પુસ્તક ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગળીની ખેતી કરનારાં ખેડૂતોનું ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓને આપેલી જુબાનીઓનું દસ્તાવેજીકરણ સ્વરૂપ છે. આવી સાતેક હજાર ખેડૂતોનું જુબાનીઓ રાષ્ટ્રિય અભિલાગારમાં સુરક્ષિત છે તે પૈકી ત્રણસો જેટલી આ પ્રથમ ખંડમાં સમાવવામાં આવી છે. આ પુસ્તક ગળી ખેડૂતોના જુબાનીથી ચંપારણ સત્યાગ્રહની વધુ સૂક્ષ્મ બાજુ મૂકી આપે છે. ખેડૂતોની આ જુબાનીથી જ તેમને ન્યાય અપાવવા ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ કરવા પ્રેરાયા હતા. જુબનીઓ મૂળ ભોજપુરીમાંથી ત્યાં ને ત્યાં જ અંગ્રેજીમાં અનુવાદ કરીને રેકોર્ડ બનાવવાવાળી બાહોશ વકીલોની ફોજમાં એક નામ બાબુ રાજેન્દ્રપ્રસાદ પણ હતું, જેઓ આગળ ચાલીને હિન્દુસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ થયા. ચંપારણમાં તીનકઠીયા પ્રથાથી પીડિત ગળીની ખેતી કરતા ખેડૂતોની દર્દનાક સ્થિતિનું તાદૃશ ચિત્ર ખડું કરે છે. ચંપારણ સત્યાગ્રહના અભ્યાસમાં આ પુસ્તક અનિવાર્ય બની રહેશે. નવજીવન પ્રકાશિત આ પુસ્તક ઇતિહાસકાર શાહિદ અમીન, પ્રો. ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડી દ્વારા સંપાદિત છે.




‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’નામનું પુસ્તક એક ઉપયોગી પુસ્તક છે જેથી દસ્તાવેજીકરણનું આયોજનનો બહોળો ખ્યાલ આપે છે. અને આવા દસ્તાવેજો સુરક્ષિત રીતે સચવાય તે અર્થે તેમાં આવતી સમસ્યાનો ઉકેલ પણ આપે છે. આ પુસ્તકમાં દસ્તાવેજ થયેલાં સંગ્રહની સાચવણી, સમયાંતરે ઉપયોગ, પ્રદર્શની અને એક સ્થળેથી બીજી જગ્યાએ કેવી રીતે મોકલી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. સાથે સાથે આ પુસ્તક આ પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના ઉપાયો પણ સૂચવે છે.