અમદાવાદઃ ગુજરાત સરકારે લોકડાઉનના સમયમાં જાહેરાત કરી હતી કે, 100 યુનિટ સુધીનું વીજળ બિલ માફ કરવામાં આવશે. આ વખતના બિલમાં માફી નહીં મળતાં લોકો સવાલ કરવા લાગ્યા છે ત્યારે સ્પશ્ટતા કરાઈ છે કે, અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં 27 જૂન અને બાકીના વિસ્તારોમાં 24 જૂનથી બનનારા બિલમાં લોકોને લાભ મળવાનું શરૂ થશે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર દ્વારા વીજળી અપાય છે. ટોરેન્ટમાં 27 જૂન અને યુજીવીસીએલ સહિતની બાકીની સરકારી કંપનીઓમાં 24 જૂનથી બનનારા બિલમાં લોકોને લાભ મળવાનું શરૂ થશે.


આ સાથે સ્પષ્ટતા કરાઈ છે કે, અમદાવાદના શહેરના ટોરેન્ટના રૂ.10.50 લાખ અને યુજીવીસીએલના 56 હજારથી વધુ કનેક્શનનું મહિને 200 યુનિટ સુધીનું વીજ બિલ આવ્યું હશે તો 100 યુનિટ માફ કરાશે. આ સિવાય 100 યુનિટ માફીનો લાભ નહીં મળે. ટોરેન્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, ગત 27મી જૂનથી બિલની ફાળ‌વણી શરૂ થઇ છે. બિલની સાઇકલ મુજબ ગ્રાહકોને 100 યુનિટ અને ફિકસ્ડ ચાર્જનો એકવાર લાભ મળશે.. યુજીવીસીએલના અધિકારીઓએ કહ્યું કે, ‘મહિને ફિકસ્ડ ચાર્જમાં રૂ.15થી 45 સુધીનો લાભ
મળશે. ગત 24મી જૂનથી બિલની ફાળવણી થઇ છે. બિલની સાઇકલ હશે તે મુજબ ગ્રાહકોને લાભ મળશે.