અમદાવાદઃ સમગ્ર અમદાવાદને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે હવે ફાયર જવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. શહેરના જશોદાનગર ફાયર સ્ટેશનમાંથી વધુ બે ફાયર જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે.


મળતી માહિતી મુજબ જશોદાનગર ફાયર સ્ટેશનમાં બે ફાયર જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ svp હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અહીંના 4 ફાયર કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમને પણ svpમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક ફાયર જવાન સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમને 7 દિવસની સારવાર આપ્યા બાદ હવે હોમ કોરેન્ટાઈનની સૂચના આપવામાં આવી છે.

જશોદાનગર ફાયર સ્ટેશનમાં વધુ બે કેસ આવતા આખી બિલ્ડીંગને બ્લોક કરવામાં આવી છે.

29 મેના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 18 અને સુરતમાં 2 મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8609 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6355 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 6287 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 1 હજાર 481 ટેસ્ટ કરવામાં આવ્યા છે.