અમાદાવાદઃ ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘણી બધી છે પણ એક પણ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હોય તેવું હજુ સુધી બન્યું નથી. મુંબઈ અને દિલ્લી આ માટે અમદાવાદ સાથે સ્પર્ધામાં હતા પરંતુ આ બંને શહેરો ડોઝિયરની મંજૂરી વખતે જ આઉટ થઈ ગયા હતા. અમદાવાદનું ડોઝિયર મંજૂર થતા યુનેસ્કોમાં મોકલાયું હતું. તેની ઇન્સ્પેકશન માટે યુનેસ્કોની ટીમ અમદાવાદ આવ પહોંચી હતી. ત્યારે આજે પ્રથમ દિવસે વહેલી સવારે બે સ્થળોની મુલાકાત લીધી હતી.


અમદાવાદના આયોજન, સ્થાપત્ય અને સંસ્કૃતિનું અવલોકન હવે આ માટેની અંતિમ ચરણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે શહેરના બેનમૂન સ્થાપત્યોના ઈન્સ્પેકશન માટે મંગળવારે યુનેસ્કોની ટીમ અમદાવાદમાં આવી પહોંચી હતી. 28 તારીખથી 30 તારીખ સુધી એમ ત્રણ દિવસ ડોઝિયરમાં સમાવિષ્ટ કરેલા તમામ હેરિટેજ સ્થાપત્યોના ઈન્સ્પેકશનની કામગીરીના પ્રથમ દિવસે શહેરના લાલદરવાજા ખાતે આવેલ અહેમદશાહ મસ્જીદ અને ભદ્ર કિલ્લો, ભદ્ર મંદિરની વહેલી સવારે મુલાકાત લીધી હતી. ત્યારબાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવું કે નહીં તેનો નિર્ણય કરાશે.

જુલાઈ-2017માં અમદાવાદને હેરિટેજ સિટીના દરજ્જો અપાશે કે કેમ તેનો નિર્ણય લેવાશે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવી શકે તેવા મુખ્ય ત્રણ માપદંડની વાત કરીએ તો ટેકનોલોજી, ટાઉનપ્લાનિંગ અને લેન્ડસ્કેપની ડિઝાઈનમાં માનવમૂલ્યોનું અહીં મહત્વનું પરિબળ સ્થાપત્યો સાથે સંકળાયેલું છે. પરંપરાગત માનવ સ્થળાંતરનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે. અર્થાત સમાજનું પ્રતિબિંબ, કલાત્મક રીતે કોટ વિસ્તારનું આયોજન, નગરનું વિશેષ આયોજન અને સ્થાપત્યોનો અદભૂત સમન્વય અહીં જોવા મળે છે. અહીં વસવાટ કરી રહેલા માનવસમુદાયની સંસ્કૃતિ, વૈભવ અને વારસાનું અસરકારક પ્રતિબંબ અહીં જોવા મળે છે.