અમદાવાદઃ ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ આપી છે.  બીજી તરફ હાઈકોર્ટે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને બંનેને બરતરફ કરવાની કોંગ્રેસની અરજી  અંગે 2 નવેમ્બર સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરતાં બંનેએ પક્ષાંતર ધારાની જોગવાઈઓનો ભંગ કર્યો છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસ દ્વારા તેમને  ગેરલાયક ઠેરવવા અરજી કરાઈ છે.

હાઈકોર્ટે કહ્યું છે કે, કોંગ્રેસે કરેલી અરજી પર નિર્ણય લેવાની સ્પીકરની બંધારણીય ફરજ હોવાથી ઝડપથી નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસે કરેલી અરજીના 4 મહિનાની સમય મર્યાદામાં સ્પીકર દ્વારા નિર્ણય લેવો તેવો આદેશ કરી હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

આ અંગે મોડામાં મોડો 2 નવેમ્બર સુધીમાં બંને અરજીઓનો નિર્ણય લેવા કોર્ટે નિર્દેશ કર્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બાયડથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે.