અમદાવાદ: સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે ત્યાર બાદ બાદ બે દિવસ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ મહારાષ્ટ્રના દરિયા કિનારે અને ગોવા-કર્ણાટક પાસે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના હવામાન પર પડશે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજની વાત કરીએ તો અમદાવાદની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.