અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની છ મહાનગરપાલિકાનો વિસ્તાર વધાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાની આસપાસના ગામ અને નગરપાલિકાઓના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવી હદ વિસ્તારવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વધારવામાં આવી છે.


આ નિર્ણયના કારણે આસપાસના ગામોનાં લોકોને મોટો ફાયદો થશે. મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટર સહિતની મૂળભૂત સેવાઓ આપવામાં આવશે તેથી આ વિસ્તારોમાં લોકોને રાહત મળશે. તેના કારણે આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ પણ ઉંચકાશે.

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 1 નગરપાલિકા, 7 ગામ, ગાંધીનગર મહાનગરપાલિકામાં 1 નગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકામાં 7 ગામ, સુરત મહાનગરપાલિકામાં 2 નગરપાલિકા, 27 ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગર પાલિકામાં 4 ગ્રામ પંચાયત, ભાવનગર મહાનગરપાલિકામાં 1 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મહાનગરપાલિકાઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને અને શહેર બહારના વિસ્તારોને મહાપાલિકાની હદમાં સમાવાયા છે. શહેરના બહારના વિસ્તારોને હવે સારી નાગરિક સુવિધાઓ મળશે. શહેરી સત્તામંડળો હવે વધુ વિસ્તારોનો વિકાસ કરી શકશે.