અમદાવાદ: સામવારે અમદાવાદનાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નહતો. તેમ છતાં પણ અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું હતું. તાપમાન 30.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ગુજરાતમાં 8.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને 34.0 ડિગ્રી સાથે વેરાવળ સૌથી ગરમ શહેર બન્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 ડિસેમ્બરે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ચર ડો.જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.