અમદાવાદ: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સુરત, વલસાડમાં પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોકડવામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ, રોણાજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ગિર સોમનાથ જિલ્લાનાં ગિરગઢડામાં 2 ઈંચ, તાલાલામાં 1 ઈંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢમાં પોણો ઈંચ, માળિયા હાટીનામાં 2 ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ, વંથલીમાં અડધો ઈંચ અને ભેંસાણમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમરેલી જિલ્લાના બગસરા અઢી ઈંચ, બાબરા દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાપરમાં 20 મીનિટમાં દોઢ ઈંચ, ભુજમાં અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં ઝાપટાં પડ્યાં હતાં.