અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરી દેવાયો હોવાના ભાજપ સરકારના દાવાઓ વચ્ચે એન્ટ કરપ્શન બ્યુરો (એસીબી)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી લગભગ 34 કરોડ રૂપિયાની મિલકતો ઝડપતાં ખળભળાટ મચી ગયો છે.


વિરમ દેસાઈ નાયબ મામલતદાર હતા છતાં આટલા જંગી પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી શક્યા એ રાજકારણીઓ તથા અધિકારીઓની મીઠી નજર વિના શક્ય નથી. આ અધિકારીઓ અને રાજકારણીઓ કોણ એ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે. તેમની સામે તવાઈ લાવવી જોઈએ એવી ચર્ચા પણ ચાલી રહી છે. વિરમ દેસાઈએ વરસો સુધી ગાંધીનગર જિલ્લાની ઓફિસમાં નોકરી કરી હતી. એક નાયબ મામલતદારની વરસો સુધી બદલી ના થાય અને એક જ ઓફિસમાં રહે એ પણ રાજકારણીઓ તથા અધિકારીઓની મીઠી નજર વિના શક્ય નથી.

નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઇ ગાંધીનગરમાં નોકરી કરતા હતા ત્યારે બિલ્ડરો સાથે મળીને વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હતો. દેસાઈ વર્ષો સુધી ગુજરાત મહેસૂલ વિભાગના મંડળ પ્રમુખ હતા. આ હોદ્દાનો દુરૂપયોગ કરીને તેમણે કરોડોની અઢળક જમીનો લીધી હતી. પોલીસ તપાસમાં મોટા ભાગની જમીનો તેઓએ ગાંધીનગર આસપાસ લીધેલી છે એવું બહાર આવ્યું છે. ગાંધીનગર પછી દહેગામ , માણસા તથા કલોલમાં નાયબ માંમલતદાર તરીકે નોકરી કરીને તે રાજકારણીઓ તથા અધિકારીઓની નજીક રહ્યા હતા. દેસાઈને આ રીતે ગાંધીનગરની પાસે પોસ્ટિંગ મળ્યાં એ પણ રાજકારણીઓ તથા અધિકારીઓની મીઠી નજર વિના શક્ય નથી.