Ahmedabad News: બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ઘણી જગ્યાએ ધૂળીયું વાતાવરણ સર્જાયું છે. આજે સવારથી શહેરમાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સાંજે અમદાવાદમાં પવન અને રાતે વરસાદ થવાની શકયતા છે. 16 અને 17 જુનના રોજ ભારે પવન અને વરસાદ થવાની અમદાવાદમાં શક્યતા છે. અમદાવાદમાં 13-14 જૂનના વરસાદની સંભાવના 40 થી 50 ટકા વચ્ચે રહેશે. ગુરુવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બુધવારથી શુક્રવાર અમદાવાદમાં તોફાની પવન ફૂંકાશે.



  • 14 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ.

  • 15 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ.

  • 16 જૂન: જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ.

  • 17 જૂન: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિભારે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં ભારે વરસાદ.




વાવાઝોડું કચ્છમાં લેન્ડ ફોલ કરશે


બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


ગઇકાલે રાતે વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ છે. વાવાઝોડાની ગતિ દક્ષિણ બાજુ જતી જોવા મળી રહી છે. 15 જુનના રોજ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થનાર છે. માંડવીથી કરાંચી સુધી 15 જુનના રોજ વાવાઝોડું પસાર થશેય 13 જૂન મધરાતથી વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વની થશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌથી 320 કિલોમીટર દૂર છે. વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 16 અને 17 જુનના રોજ અમદાવાદમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે  વાવાઝોડું15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.