અમદાવાદઃ અમદાવાદના લોકો માટે ચિંતાના સમાચાર છે. કોરોનાનો ગ્રાફ ફરી ચિંતાજનક રીતે ઉંચકાઈ રહ્યો છે. અનલોકમાં અપાયેલી વધુ છૂટછાટ અને લોકોની માસ્ક પહેરવામાં અને સોશલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારીના કારણે કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે.


અમદાવાદ શહેરમાં ગુરુવારે વધુ 172 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓના મોત કોરોનાને કારણએ થયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 36 હજાર 927 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1 હજાર 812 થયો છે.

એક તરફ લક્ષણો વગરના કે હળવા લક્ષણો વાળા દર્દીઓ વધતા જાય છે. તો બીજી તરફ ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઓછી નથી. શહેરની ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડ પૈકી 223 આઈસીયૂ બેડ ભરાયેલા છે. તેમજ 129 દર્દીઓ વેન્ટીલેટર પર છે. માત્ર 19 વેન્ટીલેટર વાળા બેડ ખાલી છે.

હાલમાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 3 હજાર 683 છે. એક્ટિવ કેસો બોડકદેવ, સેટેલાઈટ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મકતમપુરા, સરખેજના નવા પશ્ચિમ ઝોનમાં 1 હજાર 212 અને પશ્ચિમ ઝોનમાં 655 મળીને આ આંકડો 1 હજાર 867નો થવા જાય છે.