અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામાં 40 જવાનો શહીદ થયા બાદ ફેસબુક ઉપર હિન્દીમાં ‘કાશ્મીરીયો કો ગુલામ બનાયે રખને કી કુછ તો કિંમત ચુકાની હી પડેગી ન’ જેવા વાંધાજનક લખાણની પોસ્ટ મૂકનારા વિજય લેઉવાની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી. વિજયનું એવું માનવું છે કે આપણા માટે જે આતંકવાદી છે તે અલગતાવાદી કાશ્મીરીઓ માટે શહીદ છે અને જે આપણા માટે શહીદ છે તે તેમના માટે આતંકવાદી છે. આમ હુમલામાં જે આતંકવાદી માર્યા ગયા છે તેમને શહીદ ગણાવીને પોસ્ટ કરી હતી.




પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના સમર્થનમાં દેશવાસીઓએ સોશિયલ મિડીયા ઉપર અસંખ્ય પોસ્ટ મૂકી હતી. પરંતુ આવી પોસ્ટમાં કોઇ પણ વ્યકિત વાંધાજનક કે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ લખે નહીં તે માટે સાયબર ક્રાઈમની જુદી જુદી ટીમોએ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી હતી. આ દરમિયાન ફેસબુક ઉપર વિજયની પ્રોફાઈલ પર વાંધાજનક લખાણ હતું.



આ પોસ્ટ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો અને તપાસ પીઆઈ વી.બી.બારડે શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસ ચાંદખેડા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા વિજય સુધી પહોંચી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે ફેસબુક એકાઉન્ટ તેનું જ હોવાની કબૂલાત કરી હતી.