આણંદઃ ઉમરેઠ પાસેના થામણા ગામે  પરણિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રક્ષાબંધન પહેલા જ એક બહેને ચીર વિદાય લેતા ભાઈ ભાંગી પડ્યો હતો. પરિણીતાએ ઘરમાં જ  ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. આત્મહત્યા પહેલા બહેને ભાઇને ફોન કરીને  સાસરીયા દ્વારા ત્રાસની આપવીતી જણાવી હતી. ભાઈ  બહેનના ઘરે પહોંચે એ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. ઉમરેઠ પોલીસે પતિ, સાસુ, સસરા વિરૂધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. 


ઓડિયો ક્લિપમાં બહેન કહી રહી છે કે, હું એક વાગ્યે નીકળું છું. જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેન કહી રહી છે કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે. સાથે જ બહેન એવું પણ જાણાવી રહી છે કે આ લોકો માર મારે છે અને ગાળો બોલે છે. જે મારાથી સહન નથી થતું. મહિલા વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જોઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ.


મૂળ પંચમહાલની અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન 2012માં થામણા ગામે મુકેશ ગોહેલ સાથે થયા હતા. પરિણીતાને સંતાનમાં બે દીકરા છે. લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાને માર પણ મરાતો હતો. જોકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી રહી હતી.


મહિલાએ સોમવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલાએ પોતાના પર ગુજારાતા ત્રાસ અંગે નારી સંરક્ષણ ગૃહમાં ફરિયાદ પણ આપી હતી. આપઘાત કરી લેનાર પરિણીતા પહેલા બાળકો સાથે નહેરમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. જોકે, નહેરમાં પાણી ન હોવાથી તેણી પરત ફરી હતી. જે બાદમાં ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો.