આણંદઃ શહેરમાં જીવનદીપ સોસાયટીમાં ગઈ કાલે બપોરના સુમારે મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે જેરી દવા ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને પુત્રનું રાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દિકરીનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.


સુત્રોના જણાવ્યા મુજબ આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉ.વ. ૩૮)ના પતિ પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. પરિવાર છેલ્લા દસેક માસથી આર્થિક સંકડામણમાં આવ્યું હતું અને પૈસાની ખુબ જ તંગી પડતી હતી. આર્થિક સંકડામણને લઈને પરિવાર કોઈને કંઈ કહી શકતું ન હતું.

ગઈ કાલે બપોરના બાર વાગ્યાના સુમારે ટીનાબેન પ્રકાશભાઈ શાહે પોતાના પુત્ર મીતકુમાર (ઉ.વ. ૧૨) અને દિકરી તૃષ્ટી (ઉ.વ. ૧૫) સાથે સેલફોસની ગોળીઓ ગળી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં રાત્રીના ૮-૪૫ વાગે મીતકુમાર અને ટીનાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે તૃષ્ટીની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મીત અને ટીનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલ સારવાર લઇ રહેલ પુત્રીના નિવેદન ઉપરથી સત્ય બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.