Anand News: આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી સમગ્ર ચરોતર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેઓ વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.
પૂજ્ય ગણેશદાસજી મહારાજે ધાર્મિક કાર્યોની સાથે-સાથે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ પોતાનું અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. તેમના બહુભાષી અને સેવાભાવી વ્યક્તિત્વના કારણે ઉમરેઠ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તોનો મોટો વર્ગ ધરાવતા હતા.
આ પણ વાંચો...Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવસેવામાં અગ્રેસર
સંતરામ મંદિર સાથે જોડાયેલી તમામ સંસ્થાઓના માધ્યમથી તેમણે માનવસેવાની જ્યોત સતત પ્રજ્વલિત રાખી હતી. તેઓ પદયાત્રી સેવા ટ્રસ્ટ, સંતરામ ગૌશાળા અને સંતરામ છાત્રાલય જેવી સંસ્થાઓની સેવાકીય કામગીરી સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. બી.ડી. પટેલ જનરલ હોસ્પિટલના વહીવટની જવાબદારી લાંબા સમય સુધી સંભાળીને જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ અને મફત/રાહત દરે આરોગ્ય સેવાઓ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. વર્ષ 2025માં પણ તેમણે ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક કીટ વિતરણ જેવા સરાહનીય કાર્યો કરીને સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ધાર્મિક અને સામાજિક પરંપરા
પૂજ્ય ગણેશદાસજી મહારાજ રામકથા સહિતના વિવિધ ધાર્મિક આયોજનોમાં અગ્રણી ભૂમિકા ભજવતા હતા. ગુરુપૂર્ણિમા અને અન્ય પવિત્ર તહેવારો પર તેમના દર્શન અને આશીર્વચન મેળવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હતા. તેમણે સંતરામ મંદિરની સેવા અને સંસ્કારની પરંપરાને ખૂબ જ નિષ્ઠાપૂર્વક આગળ વધારી હતી.
તેમના દેહાવસાનથી સંતરામ પરિવાર અને સમગ્ર ભક્તજનો શોકમગ્ન બન્યા છે. સંતરામ મંદિરના સેવાકીય ક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. તમામ ભક્તો અને અનુયાયીઓ પૂજ્ય મહંતશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
દર વર્ષે પોષી પૂનમે નડિયાદ ઉપરાંત ઉમરેઠ સંતરામ મંદિરે પણ બોર અને સાકરવર્ષા થાય છે
ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે સાકર-બોરની વર્ષા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે. આરતી બાદ જય મહારાજના નાદ સાથે લોકો સાંકર-બોર વર્ષા કરે છે. સાકર-બોર વર્ષાના મહત્ત્વ વિશે મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ જણાવતા હતા કે, એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખે તો તે બાળક જલ્દી બોલતું થાય છે.
