આણંદ: શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આણંદના એપીસી સર્કલ નજીક રાજપથ પર હત્યા કરાયેલું વાછરડું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નાના વાછરડાનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. જેની જાણ થતા ગૌરક્ષા દળ સહિત હિન્દૂ સંગઠનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.




જો કે, વાછરડાની હત્યા કોણે અને શા માટે કરી તે રહસ્ય છે. શહેરની શાંતિને ડહોળવાનું નાપાક કૃત્ય કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હિન્દૂ સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો બીજીતરફ ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.


સુરત પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત



સુરત: શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરીયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.


મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા, પરંતુ તેમ છતા મામા ટ્રાય કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો


ત્યાર બાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપ અને તેના અન્ય બે યુવકો 3 સવારીમાં પકડ્યાં હતા. જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.


યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપને સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે. ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી. સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનો ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો. ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા. એ સમય દરમિયાન એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા.









વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્મીમેરના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે. આ આખા રસ્તે અને પોલીસ સ્ટેશન સુધી જેટલા પણ સીસીટીવી આવ્યા છે તે તમામ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ કરાવવાનું પણ નક્કી કરાયું છે. આ તપાસને એ-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.