ભાવનગર: શહેરમાં એક જાણીતા વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નવ કરોડ રૂપિયાની હીરાની લેતી દેતીના મામલે પઠાણી ઉઘરાણી કરતા ઓફિસ માલિકે આત્મહત્યા કરી લીધી. શહેરના નિર્મળનગર મણીરત્ન કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા લશ્કરભાઈ મકવાણાએ બોટાદના ગઢાળી ડેમમાં આત્મહત્યા કરી લીધી છે.


હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી તથા દલાલો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ટોર્ચરીંગ કરતા હોવાના કારણે પરિવાર ભાવનગર છોડીને ગામડે જતો રહ્યો હતો. જ્યાંથી ચાર દિવસ પહેલા આત્મહત્યા કરનાર લશ્કર ભાઈ મકવાણા પરિવારને છોડી જતા રહ્યા અને ત્યાંથી તેમના પરિવારને અંતિમ ફોન કરીને જણાવ્યું કે "હું હીરાની લેતી દેતીના પૈસાની ઉઘરાણીથી કંટાળી ગયો છું એટલે હું ગઢાળી ડેમમાં મારુ જીવન ટૂંકાવું છું" તેવું જણાવી આત્મહત્યા કરી લીધી છે.




આ બનાવમાં ગઢડા પોલીસ મથકમાં સુરતના પાંચ વેપારી અને ભાવનગરનો એક વેપારી મળી કુલ 6 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવના પગલે મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવાર મૂળ ભાવનગર સિહોર તાલુકાના સણોસરા ગામનો છે. વેપારીના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જપા પામી છે.


સુરતના અડાજણમાં પરિવારે સામુહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારના 7 સભ્યોએ સામુહિક મોતને વ્હાલુ કર્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં સિધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જિંદગી ટૂકાવી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી માહિતી મુજબ 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું તો એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો. 7 સભ્યોમાં 2 બાળકો પણ સામેલ છે.


આ ઘટના પાલનપુર પાટીયા પાસે નુતન રો હાઉસ સામેની સિધેશ્વર સોસાયટીમાં બની છે. સમગ્ર પરિવારે એક જ રૂમમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. હજુ સુધી ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. ક્યાં કારણોસર પરિવારે સામુહિક આપઘાત કર્યો તેને લઇને હજુ સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ મોટે રવાના કર્યાં છે. તેમજ આપઘાતનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યું છે.